RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

લગ્ન નોંધણી કાયદો - લેખ- ૧

મહિલાને લગ્ન નોંધણીના કાયદા વિશે ખબર હોવી જોઈએ 

 લો ફોર લેડિઝ : ડો. અમી યાજ્ઞિક

(સંદેશ, તા: ૧૫,નવેમ્બર,૨૦૧૬)

લગ્નનાં હારતોરાવાળા ફોટા હતા, બંને પક્ષના વડીલોના એકબીજાને ભેટતાં ફોટા હતા, વ્યવહારમાં કરેલી ચીજ વસ્તુઓના પણ ફોટા હતા, લગ્નની વિધિ કરાવનાર ગોર મહારાજને સોગંદપર એફિડેવિટ પણ હતી છતાં લગ્ન પુરવાર કરવામાં મહિલાને કોર્ટમાં મુશ્કેલી પડતી હતી, એવા એક કેસની આ વાત છે. લગ્ન ભંગાણના એક કેસમાં સ્ત્રીએ લગ્ન જ નથી કર્યા અને તેથી જેની જોડે લગ્ન કર્યા હતાં. તે વ્યક્તિ કોઈ પૈસા આપવા માટે કે પતિ તરીકેની ફરજ નીભાવવા જવાબદાર જ નથી તેવી દલીલો કેસમાં ચાલી અને કોર્ટનું પણ એવું માનવું હતું કે લગ્ન નોંધણીનો પુરાવો કયાં છે, જેથી મનાય કે લગ્ન થયેલાં છે. આવા પ્રશ્નો લગ્નને લગતાં અસંખ્ય કેસમાં અને ખાસ કરીને એન.આર.આઈ. લગ્નોમાં ઊભા થાય છે.
ભારતમાં થયેલી લગ્નની નોંધણી ફરજિયાત હોવી જોઈએ તે માટે ભારતની ઉચ્ચ ન્યાયાલયે દરેક રાજયને લગ્ન નોંધણી અંગેનો યોગ્ય કાયદો ઘડવા માટે નિર્દેશ કર્યો. મુંબઈનો લગ્નોની નોંધણી કરવા બાબતનો અધિનિયમ, ૧૯૫૩, રાજયમાં વિધિપૂર્વક કરેલા લગ્નોની ફરજિયાત નોંધણી માટેની જોગવાઈ કરે છે, પરંતુ આ અધિનિયમ બિનઅસરકારક નીવડયો છે. ઉપરોક્ત જણાવેલા સુપ્રીમ કોર્ટના હુકમમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો છે કે લગ્નની તારીખો અને લગ્નના પક્ષકારોને લગતાં રેકોર્ડના અભાવથી દૂરોગામી અસરો જન્માવતી સમસ્યાઓ ઊભી થાય છે. યોગ્ય કાયદો બનાવવામાં ન આવે, ત્યાં સુધી આ કોર્ટના આ હુકમ અનુસાર સરકારી હુકમ/વહીવટી સૂચનાઓને અમલી બનાવી શકાય. આમ જયાં લગ્નની નોંધણી/રેકોર્ડ કરવા માટે વૈદ્યાનિક નિર્દેશો ન હોય ત્યાં ઉક્ત હુકમ લાગુ પાડી શકાય અને જ્યાં આવા કોઈ નિર્દેશો હોય, ત્યાં વધારાના પગલાંરૂપે તેને લાગુ કરી શકાય.
આજની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજયમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઈઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરિયાત જણાતા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬નો કાયદો ઘડવામાં આવ્યો.
આ કાયદો પ્રમાણે રાજ્ય સરકાર નિર્દિષ્ટ કરવામાં આવેલા સ્થાનિક વિસ્તારોમાં લગ્ન રજિસ્ટ્રારની નિમણૂક કરી શકે છે. આ કાયદા હેઠળ રાજ્યમાં કરવામાં આવેલ લગ્નોની નોંધણી ખાસ જોગવાઈ છે. કલમ-૫ પ્રમાણે લગ્નના પક્ષકારોને નોંધણીની યાદી તૈયાર કરવા અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર રજિસ્ટ્રારને પહોંચાડવા ફરમાવવામાં આવેલું છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ કરી છે કે લગ્ન નોંધણીની યાદી લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદત પૂરી થયા પછી પણ રજિસ્ટ્રારને સોંપી કરી શકાશે પણ સદરહુ નોંધણીની યાદી મોકલવામાં ચૂક કરવા બદલ અથવા તેમાં બેદરકારી દાખવવા બદલ કલમ ૧૫ હેઠળ શિક્ષા થઈ શકે.
લગ્નની નોંધણી કરવા માટે લગ્નના પક્ષકારોએ નિર્દિષ્ટ કરેલા નમૂનામાં નોંધણીની યાદી તૈયાર કરવાની રહેશે અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર જ્યાં લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વિસ્તારના રજિસ્ટ્રારને સદરહુ નોંધણીની યાદી બે નકલમાં રજિસ્ટર્ડ ટપાલથી પહોંચાડવાની અથવા મોકલવાની રહે છે. યાદી ઉપર લગ્નના પક્ષકારોએ, વિધિ કરાવનારે અને સાક્ષીઓએ સહી કરવી જોઈશે અને તેની સાથે ઠરાવેલી ફી પણ જોડવી જોઈશે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે લગ્ન રજિસ્ટર તમામ વાજબી સમયે લોકોને જોવા માટે ખુલ્લું રાખવું જોઈશે અને અરજદારને રજિસ્ટરમાંથી પ્રમાણિત ઉતારા મેળવવા માટેની પણ જોગવાઈ છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે લગ્ન નોંધણીની યાદીમાં ખોટું નિવેદન કરવા માટે અને નોંધણીની યાદી ફાઈલ કરવામાં જાણી બૂઝીને ચૂક કરનાર રજિસ્ટ્રાર માટે શિક્ષાની જોગવાઈ કરેલી છે.
લગ્નોની ફરજિયાત નોંધણીથી, રાજયમાં થયેલાં લગ્નોની સંખ્યાની ચોક્કસ સ્થિતિને લગતા વિશ્વાસપાત્ર આંકડા તથા સંબંધિત વસ્તી સંખ્યાની વિગતો પૂરી પાડી શકાશે, જે રાજયમાં સામાજિક-આર્થિક આયોજનનો આધાર બની રહેશે. જન્મ મરણ અને લગ્નની નોંધણી એ રાષ્ટ્રીય વસ્તી નીતિની સંકલિત સેવાઓ પૂરું પાડવા માટે સૌથી મહત્ત્વનું પરિબળ છે અને એટલે રાજયની અગત્યની વ્યૂહ રચનાઓમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આવા કાયદાઓ પરદેશ જવામાં, ચાઈલ્ડ મેરેજ, હિન્દુ મેરેજ અને હિન્દુ સકશેશનને લગતી સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી નીવડે છે.

>> લગ્ન સબંધી અન્ય લેખો વાંચો 

No comments: