RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

લગ્ન નોંધણી કાયદો-લેખ-૨

હિંદુ લગ્ન અધિનિયમ -લગ્ન માટેની શરતો,વિધિઓ અને નોંધણી

લો ફોર લેડિઝ : ડો. અમી યાજ્ઞિક
(સંદેશ, તા: ૩૦,મે,૨૦૧૭)
    હિંદુઓના લગ્ન સંબંધી અધિનિયમ વીરશૈવ, લિંગાયત અથવા બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ કે આર્ય સમાજના અનુયાયી સહિત હિંદુ ધર્મના કોઈપણ સ્વરૂપમાં અથવા વિકસિત રૂપમાં હિંદુ હોય તે કોઈ વ્યક્તિ, જે ધર્મે બૌદ્ધ, જૈન અથવા શીખ હોય તે કોઈ વ્યક્તિ અને જે રાજ્યક્ષેત્રોમાં કાયમી વસવાટ કરતી હોય અને ધર્મે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અને યહુદી ન હોય તેવી વ્યક્તિઓને લાગુ પડે છે. હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ના કાયદા પ્રમાણે હિંદુ, બૌદ્ધ, જૈન અથવા શીખ એવી વ્યક્તિને કહેવાય જેને માતા-પિતા બંને ધર્મે હિંદુ, બૌદ્ધ, જૈન અથવા શીખ હોય અથવા જેના માતા-પિતા પૈકીનું કોઈ ધર્મે હિંદુ, બૌદ્ધ, જૈન અથવા શીખ હોય અને જેને એવા માતા-પિતા જે આદિજાતિ, સમુદાય, સમૂહ અને કુટુંબના હોય કે ભૂતકાળમાં હોય તેના સભ્ય તરીકે ઉછેરવામાં આવ્યાં હોય. આ કાયદા પ્રમાણે જેણે ધર્માંતર કરી અથવા ફરીથી ધર્માંતર કરી હિંદુ, બૌદ્ધ, જૈન અથવા શીખ ધર્મ સ્વીકાર્યો હોય તે વ્યક્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
    આ અધિનિયમ “રિવાજ” અને “પ્રથા” કોને કહેવાય તેની પણ વ્યાખ્યા આપવામાં આવી છે. તે વ્યાખ્યા કહે છે જે નિયમ નિશ્ચિત અને લાંબા સમયથી સતત અને એક સરખો પળાતો હોય અને જે નિયમ કોઈ સ્થાનિક વિસ્તાર, આદિજાતિ, સમુદાય, સમૂહ અથવા કુટુંબના હિંદુઓમાં કાયદાના જેવો પ્રભાવ ધરાવતો હોય તેનો સમાવેશ થાય છે.
       હિંદુ લગ્ન માટે કેટલીક શરતો હોય છે. લગ્ન વખતે, બંને પક્ષકારોમાંથી પુરુષને પત્ની અને સ્ત્રીને પતિ હયાત હોવો જોઈએ નહીં, લગ્ન વખતે, બંનેમાંથી કોઈ પક્ષકાર, અસ્થિર મગજના પરિણામે કાયદેસરની સંમતિ આપવામાં અસમર્થ ન હોવો જોઈએ અથવા કાયદેસર સંમતિ આપવામાં સમર્થ હોય તો પણ, એવા પ્રકારની કે એટલી હદે માનસિક વિકૃતિથી પીડાતી ન હોવી જોઈએ કે, તે લગ્ન અને પ્રજોત્પાદન માટે અયોગ્ય હોય અથવા તેને પાગલપણાનો ફરી ફરીને હુમલો આવતો હોય, લગ્ન વખતે વરે એકવીસ વર્ષ અને કન્યાએ અઢાર વર્ષ પૂરાં કર્યા હોવા જોઈએ. આ અધિનિયમ એવું પણ કહે છે કે પક્ષકારો સગપણની પ્રતિબંધિત પેઢીનું સગપણ ધરાવતા હોવા જોઈએ નહીં, સિવાય કે તેઓ પૈકી દરેકને લાગુ પડતા રિવાજ અથવા પ્રથાથી તેઓ બંને વચ્ચે લગ્નની છૂટ હોય અને પક્ષકારો, એકબીજાના સપિંડ હોવા જોઈએ નહી.
હિંદુ લગ્ન અધિનિયમ પ્રમાણે હિંદુ લગ્નની વિધિમાં લગ્નના કોઈપણ એક પક્ષકારના રૂઢીગત ક્રિયા અને વિધિ અનુસાર હિંદુ લગ્ન થઈ શકશે. આવી ક્રિયા અને વિધિમાં સપ્તપદી એટલે કે પવિત્ર અગ્નિ સમક્ષ વર-કન્યાએ સંયુક્ત રીતે સાત પગલાં ભરવાં તેનો સમાવેશ થતો હોય, ત્યાં સાતમું પગલું ભરવામાં આવે એટલે કે લગ્ન સંપૂર્ણ અને બંધનકર્તા થાય છે.
હિંદુ લગ્ન થયા પછી આ લગ્નની નોંધણી કરવાની રહે છે. હિંદુ લગ્નોની સાબિતી સરળતાથી થઈ શકે તે માટે, એવા લગ્નના પક્ષકારો પોતાના લગ્ન અંગેની વિગતો આ માટે રાખેલા હિંદુ લગ્ન રજિસ્ટરમાં ભરી શકે છે. આ હિંદુ લગ્નનું રજિસ્ટર તમામ વાજબી સમયે તપાસણી માટે ખુલ્લું રહેશે અને તે રજિસ્ટર, તેમાં નોંધેલા કથનોના પુરાવા તરીકે ગ્રાહ્ય રહેશે અને અરજી ઉપરથી તે રજિસ્ટરમાંના પ્રમાણિત ઉતારા, રજિસ્ટ્રારે પોતાને ઠરાવેલી ફી આપતાં મળી શકશે.
ભારતમાં થયેલા લગ્નની નોંધણી ફરજિયાત હોવી જોઈએ તે માટે ભારતની ઉચ્ચ ન્યાયલયે દરેક રાજ્યને લગ્ન નોંધણી અંગેનો યોગ્ય કાયદો ઘડવા માટે નિર્દેશ કરેલો અને આ નિર્દેશને ધ્યાનમાં લેતાં રાજ્યમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઈઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરિયાત જણાતાં ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬નો કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદા પ્રમાણે રાજ્ય સરકારે ર્નિિદષ્ટ કરવામાં આવેલા સ્થાનિક વિસ્તારોમાં લગ્ન રજિસ્ટ્રારની નિમણૂક કરી છે અને આ કાયદાની કલમ-૫ પ્રમાણે લગ્નના પક્ષકારોને નોંધણીની યાદી તૈયાર કરવા અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર રજિસ્ટ્રારને પહોંચાડવા ફરમાવવામાં આવેલું છે. આ કાયદાની નીચે લગ્નની નોંધણી ફરજિયાત છે.

>> લગ્ન સબંધી અન્ય લેખો વાંચો 

No comments: